Translate

Translate

Friday, March 4, 2016

પરોઢીયે પંખી જાગીને...

પરોઢીયે પંખી જાગીને...
પરોઢિયે પંખી જાગીને,ગાતા મીઠા તારા ગાન;
પરોઢીયે મંદીર મસ્જીદમાં, ધરતા લોકો તારું ધ્યાન.
તું ધરતીમા તું છે નભમાં, સાગર માંહે વસે છે તું;
ચાંદા સુરજ માંહે તું છે, ફુલોમાં હસે છે તું.
હરતા,ફરતાં કે નીંદરમાં, રાત દિવસને સાંજ, સવાર;
તારો અમને સાથ સદાયે, તુ છે સૌનો રક્ષણહાર.
દેવ બનાવી દુનીયા છે તે,તારો છે સૌને આધાર;
તું છે સૌનો, સૌ તારા છે, નમીએ તુજને વારંવાર.
નમીએ તુજને વારંવાર...

ગુજરાતી શાળાના પહેલા કે બીજા ધોરણની આ પહેલી કવિતા.. પુસ્તકમાં કવિતાની બાજુમાં કલરવ કરતા પક્ષી, મંદિરનું શિખર અને મસ્જીદનો ગુંબજ.. અને ઈશ્વરને પ્રણામ કરતો બાળકનું ચિત્ર હતુ. પાઠ્યપુસ્તકનું એ પાનું હ્રદયમાં કોતરાઈ થઈ ગયું છે..

મારા જીવનમાં ભણેલી અને ગાયેલી આ પહેલી કવિતા..
વહેલી સવારના સાત્વિક વાતાવરણ ના વર્ણનની સાથે મંદિરના ભગવાન અને મસ્જિદના અલ્લાહ એ ખરેખર તો આ જગતનો, મારો તમારો અને સૌનો સર્જક છે એ સહું નો છે.. અને આપણે સહું એના છીએ.. ઈશ્વર તત્વની ઉત્તમ સમજ કવિએ આપી...

જીવનના પરોઢીયે શીખેલી આ કવિતાનું ભાવવિશ્વ જીવનની સાંજ સુધી ટકી રહે.. અને આયખાની અંતિમ સવારે પણ આજ ભાવ હ્રદયમાં પ્રગટે તો કેવું સારૂ..


ધર્મેન્દ્રસિંહ રણા.. ના સુપ્રભાત....

Sunday, October 18, 2009

HAPPY NEW YEAR

નવા વર્ષની શુભેચ્છાઓ
આદ્ય શંકરાચાર્યજી એ એક સ્તોત્રમાં ખૂબ જ સુંદર શ્લોકમાં વર્ણન કર્યું છે કે,
आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनम्
प्रत्यायान्ति गता पुनर्न दिवसाः कालौ जगत्भक्षकः
लक्ष्मीस्तोय तरंग भंग चपला विद्युत्चलं जीवितं
तस्मान्मां शरणागत शरणदः त्वं रक्षरक्षाधूना ..
અર્થાત્
દરરોજ આયુષ્યનો અંત આવી રહ્યો છે.. અને યૌવન પણ સતત ક્ષય પામી રહ્યું છે. જે દિવસ વીતી જાય છે તે કદીય પાછો આવતો નથી.. કાળ એટલે કે સમય જગતનું ભક્ષણ કરી રહ્યો છે..
લક્ષ્મી એટલે કે સંપત્તિ તો પાણીનાં તરંગ જેવી ચંચળ છે; અને વીજળીના ચમકારા જેટલું ક્ષણભંગુર જીવન છે. માટે હે શરણાગત વત્સલ શંકર..! મારુ હમણાં જ રક્ષણ કરો...
જોતજોતામાં સંવત ૨૦૬૫ ના ૩૬૫ દિવસો અને કારતક થી શરૂ કરી આસો સુધીનાં બાર મહિનાઓ વીતી ગયા.. કેલેન્ડર બદલાઈ ગયું અને સંવત ૨૦૬૬ નું પ્રસન્ન થઈને આપણે સ્વાગત કરી રહ્યાં છીએ. નવા વર્ષનાં મંગળ પ્રભાતને સત્કારવા દર વર્ષે આપણે નવલાં વસ્ત્રો પરિધાન કરીને પરસ્પર એક બીજાને શુભેચ્છાઓ અર્પણ કરીને આશિષ આપીને ઊજવતા રહ્યાં છીએ...પરંતુ દર વર્ષે ચોક્કસપણે આવતું આ પર્વ ઊજવવાનાં ઉત્સાહમાં આપણે ખરેખર આપણા ક્ષણભંગુર જીવનનો વિચાર કરવાનું ચૂકી જઈએ છીએ.

દર દિવાળીએ ઘરની તમામ ચીજવસ્તુ અને દિવાલ સહિત આખા ઘરને સાફ કરવાનું આપણે ક્યારેય ચૂકતા નથી.. પણ કદીય આપણા મનમાં સતત જમા થઈ રહેલા એકબીજા પ્રત્યેનાં રાગ દ્વેષ અને ઈર્ષા જેવા મનનાં મંદિરમાં ઘર કરી ગયેલા દુર્ગુણોની સફાઈ કરવાનો વિચાર શુદ્ધા ક્યારેય આવતો નથી...!

દર નવા વર્ષે નવા વસ્ત્રો પરિધાન કરવાનું આપણે મોટાભાગે ચૂકતા નથી.. પરંતુ આ વિચાર કરવાનું ચૂકી જઈએ છીએ કે જે શરીરને નવા વસ્ત્રો પરિધાન કરાવીએ છીએ તે શરીર સતત અને અવિરતપણે જુનુ થઈ રહ્યું છે...!

દર ભાઈ બીજે બહેન ભાઈને બોલાવવાનું ચૂકતી નથી અને ભાઈ પણ બહેનને પોતાની હેસિયત અને ભાવના અનુસારની ભેટ આપવાનું વિસારતો નથી.. પણ સંબંધોમાં રહેલી સ્વાર્થવૃત્તિ ઓછી થાય તેવું આત્મચિંતન કરવાનું કદાચ જ યાદ આવે છે..!

લાભપાંચમનું ચોપડાપૂજન કરવાનું નહી ચૂકનારા અને વેપાર ધંધાની જગ્યા સહિત તમામની શુદ્ધિ કરનારા આપણે સૌ બાહ્યાભ્યંતર શુદ્ધિની વૈદિક પરંપરા યાદ રાખી ને રાગદ્વેષ ની બાદબાકી કરીને ઈશ્વરપ્રાપ્તિની દિશામાં એટલે કે પરમ સુખની પ્રાપ્તિના આપણા અંતિમ લક્ષ્ય સુધી આપણી ગતિ થઈ કે નહી તેનો વિચાર કરવાનું ચૂકી ગયા છીએ...!

નવા વર્ષે આદ્ય શંકરાચાર્યજીએ શ્રી શિવાપરાધક્ષમાપન સ્તોત્રમાં દર્શાવેલા આ અદ્ભૂત વિચારનાં અર્થનું ચિંતન કરીએ તો સમજાય કે, આપણે શરીર અને મળેલા આયુષ્યનાં આધારે આખો સંસાર રચેલો છે તે આયુષ્ય તો પ્રતિદિન પ્રતિક્ષણ નાશ પામી રહ્યું છે.. અને જે જગત ને આપણે સાચું માનીએ છીએ તેનો તો કાળનાં દેવતા સતત ગ્રાસ કરી રહ્યાં છે. ગઈ કાલે જે હતું.. ગયા વર્ષે જે હતું અને આપણા જીવનનાં ભૂતકાળનો વિચાર કરો તો તે જીવનમાં જે કંઈ પણ મેળવ્યું તેમાંનું કંઈ પણ આજે જેવું હતું તેવું ને તેવું રહ્યું નથી... જે કોઈ ભોગો આપણે ભૂતકાળમાં ભોગવ્યા તે હવે માત્ર ગઈ કાલે રાત્રે જોયેલા સ્વપ્ન કરતા વિશેષ મહત્વનાં નથી.. ભૂતકાળમાત્ર સ્વપ્નવત્ રહ્યો છે.
આપણી લાખ કોશીષો પછી પણ ગયેલો સમય પાછો ફરવાનો નથી.. અને હવે પછીની ક્ષણ કેવી હશે તે આપણે કોઈ જાણી શકવાનાં નથી..

સતત જગતમાં દ્રષ્ટી કરીએ અને જગતની પરીક્ષા કરીએ તો સમજાશે કે, આ જગતનું કઈ પણ આવતી કાલે રહેશે કે કેમ તે કહી શકાય તેમ નથી. ગયા વર્ષે નવા વર્ષની ઉજવણી જેની સાથે આનંદથી કરી.. જેમને શુભેચ્છાઓ આપી તેવા કેટલાં સ્વજનો આ નવા વર્ષે આપણી સાથે નથી.. એ હકીકત શંકરાચાર્યજીનાં શબ્દોને સાબિત કરે છે કે.. વીજળીના ચમકારા જેવું જ ક્ષણભંગુર જીવન છે...
એક કવિએ ગુજરાતી ભાષામાં રહેલી કાવ્યપંક્તિઓ યાદ આવે છે..
કાળની વણઝાર ચાલી જાય છે..
ચાલી જશે.
પ્રાણ થઈ જાશે પલાયન ખોળયું ખાલી થશે.
હર પ્રભાતે ચેતવે છે કૂકડા કેરી પૂકાર..
જાગ ઓ નાદાન એક રાત ઓછી થઈ ગઈ.
આયખું ખૂટી જશે કદી કીધો વિચાર..
આપણામાં થી જો કોઈને એમ હોય કે, સંપત્તિ પ્રાપ્ત કરી હોય તો બધા જ સુખો આવી જાય છે. પરંતુ આ વિષ્ણુપ્રિયાનું એક લક્ષણ જે આપણે ભૂલી ગયા છીએ તે યાદ કરાવતા ભગવાન શંકર કહે છે.. લક્ષ્મી તો પાણીની ઉપરની લહેર જેવી ચંચળ છે.. આ વાત કદાચ આપણને કડવી લાગે તો પણ સૂર્યનાં ઉદય અને અસ્ત જેટલી સાચી છે. વહેતા ઝરણા જેવી લક્ષ્મીને તમે રોકી બંધ બાંધવા ઇચ્છતા હો તો ભલે તેમ કરો પરંતુ જો આ બંધમાંથી નહેરોમાં પાણી વહેવાનું બંધ થાય તો તેનો અવશ્ય નાશ થાય છે. જો આપણી પાસે આવેલી લક્ષ્મીને નારાયણની સેવામાં અર્થાત્ જેને તેની આપણા કરતા વધારે જરુર હોય તેવા તમામને માટે વાપરવામાં કચાશ રાખીશું અને માત્ર હું અને મારા ઓ પૂરતી ધૃતરાષ્ટ્ર ની જેમ સાચવી રાખીશું તો એ નાશ તો પામશે જ પણ સાથોસાથ કુટુંબનો પણ વિનાશ નોતરશે એ નિશ્ચિત છે. માટે પાણીનાં તરંગની જેમ ચપળ વિષ્ણુપ્રિયા નો પણ યોગ્ય સદુપયોગ કરવો જરૂરી છે.
નવા વર્ષે આપણે સૌ જીવનની ક્ષણભંગુરતા અને કાળની ગતિનો વિચાર કરીને આ જ જીવનમાં સુખનાં સાગર સમા પરમાત્માની પ્રાપ્તિરૂપી લક્ષની પ્રાપ્તિ જ જીવનનું એકમાત્ર ધ્યેય બની જાય તેવી સદ્ ગુરુજી નાં ચરણમાં વંદના કરી આપ સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છુ.
–ધર્મેન્દ્રસિંહ રણા
મનુસ્મૃતિ. ગણેસનગર
તાલુકા પ્રાથમિક શાળા સામે,
વાલીયા જીઃ ભરૂચ ૩૯૩ ૧૩૫ (ગુજરાત)
Visit on
http://www.prernapiyush.wordpress.com/
http://www.prernapiyush.blogspot.com/
mail
manusmruti@gmail.com
Tele fax: 02643-270048
Mobile : 9427582895

Tuesday, July 7, 2009

જનનીની જોડ સખી નહી જડે રે લોલ...

માતાનું ભારતીય વિચારધારાએ વૈશ્વિકરણ એ રીતે કર્યું છે કે આપણે ગાય, નદી, પ્રુથ્વી, દેશ (ભારતમાતા), અરે જગત નિર્માણ કરનારી માયાશક્તિને પણ માતા કહીએ છીએ.પરંતુ જન્મ આપનારી જનેતા એ માતૃત્વનાં તમામ તત્વોમાં બેજોડ છે. એક માણસનો બીજા માણસ સાથેનો સંબંધ બંધાતા ની સાથે જ જગતમાં સમાજ અસ્તિત્વમાં આવ્યો.. અને આજે સામાજિક સંબંધો અગે અનેક શાસ્ત્રો રચાઈ ચૂક્યા છે... અને સંબંધો અંગે અનેક વિવાદ ચર્ચાઓ ચાલી રહી છે. સ્ત્રીપુરુષનાં સંબંધે તો દુનિયાભરમાં કાગારોળ મચાવી છે. અને જાતજાતનાં સંબંધો અંગે હુક્કોની માંગણી પણ કરવામાં આવી રહી છે.પરંતુ જગતનાં તમામ સમાજશાસ્ત્રીઓ એ એક વાતમાં એકમત થવું પડે તેમ છે.. અને તે બાબત અટલે જગતભરમાં માનવીય સંબંધોમાં નહિવત્ સ્વાર્થ અને હજારો ઘણા પ્રેમનો જો કોઈ સંબંધ હોય તો તે છે.. માતા અને તેનાં સંતાનનો સંબંધ...
જયારે જયારે મને મારૂ બાળપણ યાદ આવે ત્યારે અચૂક અનેક વિપત્તિઓ.. સમાજની ઠોકરો... અને એવા એવા દુઃખો કે જેનો અત્યારે આપણે વેઠવાની વાત બાજુ પર રહે પણ વિચાર કરતા જ મોટી આફત આવી પડી હોય તેવો અહેસાસ થાય તેવા દુઃખો સહન કરીને મને સમાજની નજરમાં પ્રતિષ્ઠિત બનાવવાનાં પ્રયાસરૂપે હાડ ઓગાળનારી મારી મમ્મી અચૂક જ યાદ આવી જાય... એના દેહાવસાનને ઘણા વર્ષો વીત્યા પણ હજીએ એ મારી સ્વપ્નસૃષ્ટિમાં અચૂક આવી જાય છે. અને સમાજ અને સંસારની કોઈ વિકટ પરિસ્થિતિ સર્જાય ત્યારે એનું જીવન અને એ જનેતાનાં કર્તવ્યો યાદ કરતા જ નવું જોમ આવી જાય છે.
હમણા જ થોડા દિવસ પહેલા મારી દિકરી દેવાંશીએ મને પુછયુ કે, પપ્પા શાળામાં કવિતાપઠન કરવાનું છે; કયું કાવ્ય વાંચું..અને મને જે પહેલુ કાવ્ય એના માટે સ્ફુર્યુ તે હતુ, કવિશ્રી બોટાદકરનું આ કાવ્ય... જેની એક એક પંક્તિ જન્મદાત્રી માતાનાં વ્યક્તિત્વને બાંધી આપે છે. સાથે સાથે કવિએ જગતનાં જે કોઈ સુંદર પદાર્થો.. છે તે તમામ ની જનેતા સાથે સરખામણી કરીને ખૂબ જ સુંદર રીતે સાબિત કર્યું કે.. જનનીની જોડ સખી નહી જડે રે લોલ...
ગુજરાતી કવિ દુલાભાયા કાગે કહ્યુ. કે... મુખથી બોલું માં ત્યારે મને સાચે જ બચપણ સાંભરે.. પછી મોટાપણાની મઝા બધી કડવી લાગે કાગળા.. આપણી સંસ્કૃતિનો આધારસ્થંભ એવા ઉપનિષદને જોઈએ તો તૈત્તરિય ઉપનિષદ પણ કહે છે.. માતૃદેવો ભવ.. માતાને દેવ માન..જગતનાં તમામ સાંસારિક સંબંધોમાં સર્વ શ્રેષ્ઠ એવો માં–દિકરા નો સંબંધ છે.. ગુજરાતી સાહિત્યનાં કવિ બોટાદકરે માતૃવંદના કરતા ખૂબ જ સુંદર કાવ્ય રચ્યું છે.
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલએથી મીઠી તે મોરી માત રે

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,જગથી જૂદેરી એની જાત રે … જનનીની
અમીની ભરેલ એની આંખડી રે લોલ,વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની
જગનો આધાર એની આંગળી રે લોલ,કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,અચળા અચૂક એક માય રે … જનનીની
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,માડીનો મેઘ બારે માસ રે … જનનીની
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,એનો નહિ આથમે ઉજાસ રેજનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
દુનિયાની સૌથી મીઠી વસ્તુ કદાચ મધ હશે અને બીજી રીતે જોઈએ તો વરસાદ આવે તેથી જ આપણા સૌનું જીવન શક્ય બને છે તેથી મધુ અને મેહુલો એ બે જગતની મીઠી વસ્તુ ગણાય.. ત્યારે અહી કવિ તેની કાવ્યશક્તિ પ્રયોજી કહે છે કે, આ બે કરતા પણ મીઠી મારી માતા છે. માતાનો વિશેષ પરિચય આપતા કવિ તેને પ્રભુનાં પ્રેમની પૂતળી એટલે કે જગત્પતિનાં પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ ગણાવે છે. કહે છે અમીથી ભરેલી એની આંખ છે; અને માતાની વાણી વિશે જણાવી દે છે કે, વ્હાલથી ભરપૂર વેણ છે..! માતાનું આગળની પંક્તિઓમાં વર્ણન કરતા કવિની કલમ થાકતી નથી.
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,શશીએ સિંચેલ એની સોડ્ય રે.. આ પંક્તિઓમાં કવિ બે અદભૂત રૂપક પ્રયોજે છે, દેવોનો જન્મ થતો નથી. તેથી દેવોનાં અનેક વૈભવનું વર્ણન ભલે પૂરાણોમાં હોય પરંતુ માતાનો પ્રેમ તો દેવોને પ્રાપ્ત ન હોવાની હકિકતને સુંદર રીતે રજુ કરે છે. અને બીજા રૂપકમાં માતાનાં અંકમાં(ખોળા) માં ચંદ્રમા જેવી શીતળતા હોવાની વાત કવિએ મૂકી છે.
જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કૈંક ભર્યા કોડ રે … માતાની આંગળી પકડીને ચાલ્યા હોઈએ તો આ પંક્તિનો અર્થ સમજાય.. બાળકે જ્યારે માતાની આંગળી ઝાલી હોય છે ત્યારે એનો રૂઆબ કંઈ જુદો જ હોય છે... અને ભીડ વચ્ચે જ્યારે થોડીવાર માટે પણ આગળી છૂટી જાય ત્યારે શું થાય તેની તો બાળકને જ ખબર પડે.. આ પંક્તિ ગાતા ક્ષણભર પોતાની મોટાઈનો ઝભ્ભો ઉતારી બાળક બની જવુંપડે. અને એના કાળજામાં કેટકેટલા અરમાન તેણે સેવ્યા હશે તેની તો માં બનીએ તો જ જાણ થાય. પછીની પંક્તિઓ પણ આ જ ભાવ દર્શાવે છે..ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ, પળના બાંધેલ એના પ્રાણ રે … મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ન એની લહાણ રે. આ પંક્તિઓ કવિનો માતૃપ્રેમ દર્શાવે છે. ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,અચળા અચૂક એક માય રે …
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે … વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,માડીનો મેઘ બારે માસ રે …ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ, એનો નહિ આથમે ઉજાસ રે આ પંક્તિઓમાં પણ સુંદર રૂપક પ્રયોજાયા છે. ગંગાને ભારતીયો માતા તરીકે પૂજે છે. પરંતુ અહી કવિ ગંગા માતા કરતા પણ પોતાની જનેતાને ચડિયાતી દર્શાવે છે; અને મનભાવન તર્ક રજુ કરે છે કે, ગંગાનાં પાણી વરસાદ કે બરફ પીગળે ત્યારે વધતા ઘટતા રહે છે; પરંતુ માતાનાં પ્રેમનો પ્રવાહ એવો છે જે ક્યારેય વધ ઘટ થતો નથી. અને ફરીથી મેહુલીયા કરતા માતાને ચડીયાતી ગણાવતા જનેતાનો સ્નેહ બારેમાસ વહેતો રહેતો હોવાનું જણાવે છે; અને ચંદ્રમાની ચાંદનીમાં પણ ડાઘ દેખાય છે; જ્યારે માડીનો ઉજાસ ક્યારેય આથમતો નહી હોવાની રજુઆત કરે છે.
આ કવિતાનાં પરિપેક્ષમાં બીજી એક વાત સ્ત્રીઓ માટે કહેવાનું મન થાય કે, આજે સ્પર્ધા અને હરિફાઈનો જમાનો આવ્યો છે, તમામ ક્ષેત્રોમાં મહિલાઓને પુરુષ સમોવડી બનાવવા ચળવળો ચાલી રહી છે. પરંતુ માતૃત્વનો ઈશ્વરે આપેલો અધિકાર માત્ર સ્ત્રી શરીરને જ મળેલો છે. તેથી પુરુષ સમોવડી થવાનાં નાદમાં માતૃત્વનો ભાવ ન ખોઈ બેસીએ, એટલું જ નહી ક્યારેક એ ગૌરવ લેવાને લાયક ન રહીએ તેવું વર્તન ન કરી બેશાય તેની કાળજી સ્ત્રીઓએ પણ રાખવી જોઈએ.
પ્રેમ શબ્દ એટલો બધો આજનાં સમયમાં લીસ્સો થયો છે કે, આપણને પ્રેમ શબ્દ સાંભળતા માત્ર વિજાતિય આકર્ષણ જ યાદ આવે. ત્યારે જનેતા સ્ત્રીનું જનેતા તરીકેનું અદભૂત સ્વરૂપ પ્રગટ કરતી આ કવિતા માં રજુ થયેલા ભાવો જો આપણે આપણા ચિત્તમાં ધારણ કરી શકીએ અને તો સ્ત્રીઓમાં માતૃત્વની દ્રષ્ટિ એ જોવાની સમજ સમાજમાં જો દ્રઢ થાય તો અત્યારનાં સંજોગોમાં જે કોઈ પણ સમસ્યાઓ આપણને આવી સમજનાં અભાવને કારણે ઉભી થયેલી જણાય છે તે ચપટી વગાડતા દૂર થઈ જાય... અને આજકાલ જે કિસ્સાઓ માધ્યમોમાં ચર્ચાઈ રહ્યાં છે, અને સમાજમાં સ્ત્રીઓ વિરુદ્ધનાં ગુનાઓ જે રીતે વધી રહ્યાં છે તે જોતા પણ દરેક સ્ત્રીને ઈશ્વરના વરદાન રૂપે મળેલા માતાનાં, જનેતાનાં સ્વરૂપે જોઈએ એની પૂજા કરીએ એજ અભ્યર્થના... ધર્મેન્દ્રસિંહ રણા

નોધઃ આ લેખ વાંચીને જો તમને પણ તમારી જનેતા વિશે કંઈ પણ લખવાની ઈચ્છા થઈ જાય તો તમારી કોમેન્ટ અવશ્ય આપશો.

Monday, June 29, 2009

મુખ્યમંત્રી શ્રી ને ગામડા અને ખેતી નાં જીર્ણોદ્ધાર માટે પત્ર

મુખ્યમંત્રી શ્રી ને ગામડા અને ખેતી નાં જીર્ણોદ્ધાર માટે પત્ર
માનનીય મુખ્યમંત્રી શ્રી,
ઘણા જ મનોમંથન પછી આપને આ પત્ર લખવા પ્રેરાયો છુ. મને આશા છે, કે જે વિચારો અને સમજ મારી અલ્પબુદ્ધિમાં આવેલી છે, તે આપના સુધી પહોચે, આ સુચનો ઉપર આપની ટીમનાં તજગ્નો દ્વારા ચિંતન થાય અને આ સુચનોમાંથી જેટલા પણ સુચનો અમલ કરવા જેવા લાગે તો તેનો અમલ આપણા ગુજરાતમાં થાય; તો મને લાગે છે કે, ગુજરાતની કાયાપલટ થઈ શકે.. અને એંટલું જ નહી ખેડૂતો અને ગામડાઓ બંનેનો ઉદ્ધાર થાય.
મારી સૌથી પહેલી રજુઆત ખેડૂતોને તેમના ઉત્પાદનનાં પુરતા ભાવો નથી મળતા તે અંગે છે. સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલનાં ભાવો સરકાર નક્કી કરે છે. અને તેલ કંપનીઅપને ખોટ જાય તો તે સરકારમાંથી ભરપાઈ થાય છે, તો પછી ખેડૂતનાં ખેતરમાં જે કંઈ પાકે છે તેના ટેકાનાં ભાવ શા માટે નહી, અને દુધ,દહી, અનાજ પેટ્રોલ કે ડીઝલથી સ્હેજ પણ ઓછા મહત્વનાં નથી. અને પેટ્રોલ કે ડીઝલ વગર કદાચ જીવી પણ શકાય પરંતુ દુધ કે અનાજ વગર તો જીવાય જ નહી; તો એ એટલા સસ્તા શી રીતે હોય શકે.? શું જગતનાં તાતને તેના ઉત્પાદનની પૂરતી કિંમત નહી ચૂકવીને આપણે અન્યાય નથી કરી રહ્યાં..? મને લાગે છે કે, ખેડૂતને તેના અનાજ,શાકભાજી અને દુધ નો ભાવ ડીઝલ કરતા ઓછો મળવો જોઈએ નહી. જો અન્ન અને અન્ય ઉત્પાદનો નો ઓછામાં ઓછો કિલોગ્રામનો ૩૦ રૂપીયા પણ ભાવ મળે તો એક જ રાતમાં ભારત સમૃદ્ધિનાં શિખરો સર કરે..અને તો ગુજરાતની મોટા ભાગની પ્રજા ખેડૂત છે ખેતીકામ કરે છે ગામડામાં વશે છે.તેથી સરકાર અનાજ અને દુધ ઉત્પાદનો નાં ઓછામાં ઓછા ડીઝલની કિંમતે ભાવો આપે તે માંટે બજાર સમિતિઓને ટુંકાગાળાનું બજેટ ફાળવો.. મારા આ સુઝાવને નહી માનવા તરત જ એક સૌથી મોટો તર્ક આવશે કે, અન્ન મોંઘુ થાય તો ગરીબોનું શું થશે? જો અન્ન આટલું મોઘુ થાય તો ભારે અસલામતિ સર્જાય.. તો જવાબ છે એવું કંઈ પણ નહી થાય.. અને જરૂર પડે સરકાર પ્રજાને અન્ન પુરુ પાડે, જેવી રીતે ઉદ્યોગોને ટેક્સ હોલીડે અપાય છે.. જેવી રીતે સબસીડી અપાય છે. પરંતુ કંઈ એવી અન્નની મોંઘવારીની બીકે ખેડૂતોને અન્યાય થવા દેવાય નહી. અને પાનપડીકી, મોજશોખનાં સાધનો કે સૌદર્ય પ્રસાધનો તથા વૈભવ અને સમૃદ્ધિનાં પ્રતિક સમી મોબાઈલ કે અન્ય સેવાઓ જો મોંઘવારી વધતી હોવા છતા પ્રજાની ચિંતા કર્યા વગર અનેકઘણો નફો વસૂલે છે; તો પછી ખેડૂત તેના અન્નનાં તેને પોષાય તેટલા ભાવો મેળવવા પણ હક્કદાર નહી..?
તેવી જ રીતે બીજી વાત એ કે, ખેડૂતોને અપાતી તમામ સવલતો તેમને આવકવેરા માંથી મુક્તિ વિગેરે બંધ કરી દો... કારણ કે આવી સહાય અને મદદ નામે ખરી રીતે તો બેંકરો અને સહકારી માળખાના લોકો તેનું ભયંકર શોષણ કરી રહ્યાં છે. આઝાદીનાં પાંચ દાયકા પુરા થયા હજી ખેડૂતોને ક્યા સુધી લોન,ધીરાણ અને માફી જેવી દુધની બોટલો પર ક્યાં સુધી જીવડાશો.? અને ખેડુતનો માલ જયારે બજારમાં જાય ત્યારે થતા તેના શોષણને આ રીતે અટકાવી શકાય તેમ છે. અને ખેડૂતને ટુકા સમય માંટે જો સરકાર ટેકાનો ભાવ આપે તો સરકારનું તે માત્ર વર્કીગ કેપીટલ હશે. જેથી સરકારી તીજોરી પર પણ કોઈ આર્થિક બોજ નહી પડે. એટલું જ નહી જો ખેડૂતને તેના ઉત્પાદનનાં પુરતા ભાવો મળશે, તો ખેતી આધારિત જીવન જીવી ખેતમજુરી ઉપર નભતા શ્રમજીવીઓને પણ ખેડૂતો દિવસનાં ૧૫૦ રૂ. જેંટલી ઉંચી મજૂરી ચૂકવવા શક્તિમાન બને. અને ખેતી તરફથી ઉદ્યોગ તરફ અને ગામડામાંથી શહેર તરફનું ધ્રુવીકરણ પણ અટકી જાય.
બીજો ડર કદાચ એવો સતાવે કે, ભારતમાં ઉત્પન્ન થતુ અનાજ જો ભારત કરતા ઓંછા દામે વિશ્વનાં અન્ય દેશોમાંથી આવે તો..! તેનો પણ જવાબ છે કે,જો ભારતમાં અન્ય કોઈ દેશ ઓછા દામે અનાજ આયાત કરે તો તેનાં ઉપર ભારતનાં ખેડૂતોને માટે જાહેર કરેલા ભાવ કરતા ઓછો ભાવ નહી થાય તેટલી ડયુટી વધારી શકાય. જો ભારત કરતા કોઈ સસ્તો દુઘનો પાઉડર મોકલે તો તેને અટકાવી દેવો.. આ વાત બરાબર ગાંધીજીએ એક જમાનામાં વિદેશી કાપડ અને વિદેશી વસ્તુઓ સામે માંડેલા જંગ જેટલી જ ગંભીરતાથી સરકારે લેવી જોઈએ. અને સરવાળે થશે સમગ્ર ભારતવર્ષનું ઉત્થાન...
ગત વર્ષે કેન્દ્રની સરકારે પંજાબમાં ઘઉનાં ટેકાનાં ભાવો જાહેર કર્યા.. તથા ગુજરાતમાં સી.સી.આઈએ ટેકાનાં ભાવે કપાસની ખરીદી કરી.. સરવાડે તેનાંથી ખેડૂતોને કેટલો મોટો ફાયદો થયો.. આ સત્યને પણ ધ્યાનમાં લઈ સરવાડે ખેડૂત આર્થિક ગુલામીમાંથી અને શોષણમાંથી મુક્ત થાય તે માટે પરામર્ષ કરવાની જરૂર છે.
આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. પ્રજાનો મોટો ભાગ ખેતી કરે છે. આપણા દેશમાં ખેત ઉત્પાદનોની કિંમત વધશે તો આપઆપ માથાદિઠ આવક પણ વધી જશે. એટલું જ નહી
જો આપણે ત્યાં પાણી પણ જો ૧૦ થી ૧૫ રૂપીયા લીટરનાં ભાવે વેચાતું હોય તો શાકભાજી સસ્તુ શા માટે.? દુધ સસ્તુ શા માટે.?, જુવાર તુવર અને બાજરી કે મકાઈ સસ્તા શા માંટે? અને ખરી હકીકત તો એ છે કે, બજારમાંથી જે ભાવે ખેડૂતે પકવેલો માલ લોકો ખરીદે છે, તેના કરતા અડધી કિંમત પણ ખેડૂતને મળતી નથી. તો એ ખેડૂતોનાં અન્નદાતા બનીને શોષણખોરી કરતા વેપારીઓ અને દલાલો તેમજ વ્યાજખોરોની ચુંગાલમાંથી શું ખેડૂતને છોડાવવો જરૂરી નથી.?
અને બીજુ મહત્વનું કામ એ કરવા જેવું છે કે, ખેતી કરવાનો અધિકાર માત્ર ખેડૂતોનો છે અને ખેડૂતોની જમીન ખેડૂત સિવાય અન્ય કોઈ નહી લઈ શકે તેવો કાયદો ખરેખર તો ખેડૂતોને પોતાની મિલકતની યોગ્ય કિંમત મેળવવાનાં બંધારણીય અધિકારથી તેમને વંચિત રાખે છે. જો કોઈ કંપની પોતાના શેર બજારમાં મુકીને લોકો પાસેથી ફંડ એકઠું કરી શકે.. જો એક ફેકટરીનો માલિક ભારત અથવા વિશ્વની બીજી કોઈ પણ કંપની ને નફો લઈને તેની કંપની વેચી શકે, તો ખેડૂત પોતાની જમીન કોઈ પણ ને શાં માટે ન વેચી શકે.. અને ભારત દેશમાં ખેડૂતને સિવાય અન્ય કોઈ પણ ને ખેતીની જમીન ન લેવા દેવામાં રાજય કે રાષ્ટ્રનું કયું હિત જોખમાય છે.? બીજી દ્રષ્ટિએ વિચારીએ તો ખેડૂતને ખેડૂત રાખવો એટલે તો તેને જગતનો તાત... ધરતીપુત્ર વિગેરે વિશેષણોથી નવાજતા રહેવું અને તેનું બધી જ રીતે શોષણ કરતા રહેવું તે સિવાય બીજો કોઈ અર્થ હોય શકે નહી. તેથી ભારત દેશ જો ખેતીપ્રધાન દેશ છે તો ભારતનો પ્રત્યેક નાગરિક ખેડૂત છે. અને ખેતી કરવાનો પ્રત્યેક નાગરિકને અધિકાર છે. તે અધિકાર આપવાથી સરવાડે ખેડૂતોની પાસે તેની મૂડીરૂપ જે જમીનો છે; તેની કિંમત અનેકગણી વધી જશે. રહી વાત સરકારે ખેડૂતને આપેલી આવકવેરા માંથી મુક્તિની.. તો મને કહેવા દો કે, આઝાદીનાં પાંચ દાયકા પછી આવકવેરો ભરી શકે તેટલી આવક મેળવનાર ખેડૂતો કેટલા છે? કદાચ જ એવો કોઈ ખેડૂત મળશે કે, જેની ચોખ્ખી આવક કરવેરાને પાત્ર થતી હોય.. તેનો અર્થ એવો કરી શકાય કે, ખેડૂતને વેરામાંથી મુક્તિ આપવાની વાત તો લોર્ડ વેલેસ્લીએ સદીઓ પહેલા ભારતનાં રજવાડાઓનું શાસન છીનવી લેવા મુકેલી સહાયકારી યોજના જેવી ભ્રામક છે. અને કરવેરામાંથી મુક્તિનો ખરો ફાયદો માત્ર કેટલાક ગણ્યાગાઠ્યા મુડીવાદી ચોરો જ ઉઠાવી રહ્યાં છે.
દેશમાં આર્થિક અસમાનતા એટલી બધી વધી છે કે, દેશનો ધનાઢય વર્ગ પોતાની પાસેનાં નાણા ખેતીની જમીનો લેવામાં રોકી શકતો નથી તેથી શેર બજારમાં રોકે છે, શહેરોમાં રીયલ એસ્ટેટોમાં રોકે છે. જેનો લાભ દેશનાં માત્ર ગણ્યા ગાઠ્યા બિલ્ડરો અને ધનકુબેરો લે છે અને વધુને વધુ ધનવાન બને છે, બીજી તરફ ખેડૂતો બિચારા જગતના તાતનો ઈલ્કાબ ધારણ કરી પરાણે જીવન વેઢારતા વેઢારતા પોતે જમીનદાર હોવાનો ગર્વને પોષતો રહે છે. અને દર વર્ષે જમીનદારીને નિભાવવા ધીરાણ અને લોનનાં થીગડા મારતો મારતો જીવન પુરુ કરી વારસામાં દેવુ આપીને સ્વર્ગે સિધાવી જાય છે. પરતુ તેનાં નસીબમાં સુખી થવાનો યોગ આવતો જ નથી. બિનખેડૂતો જો ખેતીની જમીન ખરીદતા થાય તો ખેડીતોને તેની ખેતીની જમીનની યોગ્ય કિંમત મળે, એટલું જ નહી આજે જે બજાર કિંમત ખેતીની જમીનની હોય તેનાં કરતા ઓછામાં ઓછી ત્રણગણી કિંમત વધી જાય.. અને ચપટી વગાડતા ખેડૂતો દેવામાંથી મુક્ત થાય. ખેડૂત બનવા અને બનાવવાનાં કૌભાંડો અટકી જાય.. મોટી રકમનાં સોદાઓ થાય તો સરકારને પણ ફાયદો થાય. સાથોસાથ ખેતીનું ક્ષેત્ર મુક્ત થતા વૈગ્નાનિક અભિગમ આવે. ભણેલા ગણેલા લોકો ખેતીનાં ક્ષેત્રમાં આવી શકે.
મારૂ ત્રીજું નમ્ર સુચન છે કે, ગુજરાતને ઔદ્યોગોક કોરીડોર બનાવવા અને વિશ્વનાં લોકો આકર્ષાય તેવું બેનમુન બનાવવાનાં આપના પ્રયાશો છે. પરંતુ ગામડાની હાલતમાં કોઈ ખાસ સુધારો આવ્યો નથી. ગુજરાતનાં ગામડાઓમાં દરેક ગામમાં ગુજરાત સરકાર બે કી.મી નો આંતરિક પાકો રસ્તો બનાવી આપે..અને પીવાનું પાણી મીનરલ મળે તેવી વ્યવસ્થા ગોઠવી આપે તે એકદમ જરૂરી છે. આ કામ સરકારી એજન્સીઓ સારી રીતે નહી કરી શકે પરંતુ કોઈ સેવાભાવી એન.જી.ઓને આ કામ સોંપવામાં આવે તો ચોક્કસ ધાર્યુ પરિણામ આવે.
અને છેલ્લું સુચન.. કે ગરીબી ની રેખા નીચે જીવતા પરિવારમાંથી એક સભ્યને સરકાર રોજગારી આપે.. અથવા તો બેકારી ભથ્થુ આપે.
આપને જણાવતા અત્યંત દુખ અનુભવું છું કે, આપની સરકારનાં મહેસુલ વિભાગ દ્વારા ખેડૂતોનું ભારે શોષણ થાય છે. હક્કપત્રકની નોધ યોગ્ય રીતે દાખલ થતી નથી. નિર્ણયો લેવામાં ભારે ભ્રષ્ટાચાર થાય છે. બિચારા ખેડૂતને અનેક ધક્કા ખાવા પડે છે. કલેક્ટરથી માંડીને મામલતદાર કચેરીનાં કારકુન સુધીનાં તમામ લોકો ખેડુતને સમજતા નથી. આડેધડ નોંધો રીવીઝનમાં લેવાય છે. સરકારનાં સુચન છતા જુની શરતમાં ફેરવવાની કામગીરી કરાતી નથી. આ અધિકારીઓને બોલાવી સમજાવો કે તેઓ પ્રજાનાં માલિક નથી પણ સેવક છે. આ ખેડૂતો ખેતરમાં તનતોડ મજૂરી કરે છે ત્યારે તેમને ધરોના ગેસ ચુલાઓ રાંધી શકે છે. માટે ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ રાખે. કોમ્પ્યુટરાઈઝડ નકલો બનાવવામાં થયેલી ભૂલની સુધારણામાં અમારા ભરૂચ જીલ્લાનાં વાલીયા તાલુકામાં જ અનેક ખેડૂતોનાં કટીયાઓ માં આડેધડ નોંધો પાડી દેવાઈ છે. તો ભરૂચની કલેક્ટર કચેરીમાં આર.ટી.એસની ટીમ જાણે દારૂનાં દરોડા પાડતા હોય તેમ વર્ષો જુની નોધો કે જેમાં જે તે વખતે કર્મચારીએ ભૂલ કરી હોય તેનો ભોગ ખેડૂતોને બનાવી રીવીઝનની કાર્યવાહી કરી રહ્યાં છે.
શક્ય બને તો ગુજરાતમાં એવી વ્યવસ્થા ગોઠવો કે, મામલતદાર, તાલુકા પંચાયત અને કોર્ટોમાં જે પક્ષકારો આવે તેમને એક પટાવાળા દ્વારા પાણી આપવામાં આવે, તેમની સમસ્યા કે કામ ની નોંધ તરત જ એક રજીસ્ટરમાં લખી લેવાય તથા તે વ્યક્તિને કેટલા સમયમાં કામ કરી આપવામાં આવ્યુ તેની નોંધ કરવામાં આવે તેટલી વ્યવસ્થા કરી આપવા જેવી છે.
ખેડૂતો તથા ગામડાઓની દયનીય સ્થતિ દૂર કરવા મને સુઝેલા ઉપરોક્ત ઉપાયોને આપના તજગ્નો દ્વારા વિચારવામાં આવે. જરૂર પડે નક્કર આયોજન સાથે ટકાનાં ભાવો તથા ખેતીની જમીનનાં મુક્ત ખરીદ વેચાણથી થતા ફાયદાઓ અને ખેડૂતની ઉન્નતિનો વિચાર રજુ કરવા આપ બોલાવો ત્યારે આવી ચર્ચા કરવાની મારી તૈયારી છે. અને આ કામ જો કેન્દ્ર સરકાર કરી શકે તેમ હોય તો મારી નમ્ર વિનંતિ છે કે, કેન્દ્રમાં બેઠેલી સરકારને પણ આપ દિસાસૂચન કરો... વીર સાવરકર.. પંડીત દિનદયાળજી અને શ્યામાપ્રસાદ મુખર્જીની ચિંતા અને ચિંતનને પચાવનાર ભડવીર પાસે ગુજરાતનો હું સામાન્ય નાગરિક મારા આ નમ્ર સુચનોનો અમલ કરવા હકારાત્મક અભિગમની અપેક્ષા રાખું છુ.
લી. ભવદીય,

ધર્મેન્દ્રસિંહ ગેમલસિંહ રણા
ગણેશનગર,
તાલુકા પ્રાથમિકશાળા સામે,
વાલીયા જીઃ ભરૂચ

Thursday, November 20, 2008

હું છું પ્રવાસી સતત વિચરતો


હું પ્રવાસી
હું છું પ્રવાસી સતત વિચરતો, નહી વિસામો નહીં અજંપો;
બહાર ઘુઘવે દુઃખનો દરિયો, અંતરમાંયે છે ખાલીપો.;
શોધું એવો ઈલમ જગતમાં, છૂંટે સઘળા જનનાં દ્વંદ્વો.
સંત વિચારે મારગ એનો; ભજન કરીને જગત સુધારે.
તત્વગ્નાનને ભણી ગણીને; વિચારકો મનમાં મુઝાએ.
શિક્ષણમાં બદલાવ લાવીને; શિક્ષણવિદો તો હરખાએ.
અને વળી, કોઈ સાચા નેતા; સહાય,સમિતિમાં અટવાયે.
શાસક પણ શાને રહે બાકી, ઘડી કાયદા જગ બદલાવે.
ત્યારે, સતત વિચરતો હું પ્રવાસી, રહી જાઉ શાને હું બાકી,
સંત,વિચારક, શિક્ષક નેતા, સૌ નિકળ્યા છે જગને બદલવા
પણ શું એ શક્ય નથી કે, કૃષ્ણ તણો ગીતાસંદેશો,
પ્રત્યેક માનવમાં લઈ જાઓ,
ઉપાય એનો એકમાત્ર છે, સમાજ નહિં માણસ બદલાવો.

પ્રેરણાપીયૂષનાં ધ્યેયને પ્રગટ કરતું આ કાવ્ય સને ૨૦૦૧માં પ્રીન્ટ મીડીયામાં પ્રેરણાપીયૂષનો પ્રથમ અંક પ્રગટ થયો તેનાં પહેલા પાને પ્રસિદ્ધ થયું હતું. આજે આટલા વર્ષો પછી પણ માનવમાત્રમાં બદલાવ લાવવાની નેમ અને નીતિ આ બ્લોકની પણ રહેશે, તે ભાવ પ્રગટ કરવા જ આ કાવ્ય મુકાયેલું છે.

કારણ કે, કોઈ પણ સહાય, સમિતિ, શિક્ષણવ્યવસ્થા કે સમાજવ્યવસ્થા બદલ્યા પછી પણ

જે સમગ્ર સંસ્કૃતિનાં ગુરુત્વકેન્દ્રબિંદુ એવો

માનવ એટલે કે વ્યક્તિ, એટલે કે હું પોતે,

જ્યાં સુધી અંતર્મુખ થઈ મારા પોતામાં પરિવર્તન નહી આણું

ત્યાં સુધી અન્ય પરિવર્તનોનો કોઈ જ અર્થ નથી.

ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિતમાનસની રચના કરતા પહેલા મંગલાચરણમાં જ એકરાર કર્યો કે,

સ્વાંન્તઃ સુઃખાય તુલસી રઘુનાથ ગાથા, ભાષાનિબંધમતિ મંજુલમાતનોતિ.... અને એજ મીજાજથી આ બ્લોગ અને પ્રેરણાપીયૂષનાં નામે અત્યાર સુધી જે કંઈ પ્રસિદ્ધ થયું છે, તે તમામ લખાણ માત્ર માહ્યલાની ખુસી માંટે સ્વપરિવર્તન અર્થે જ લખાયું છે એવી વાચકો નોંધ લે.

–ધર્મેન્દ્રસિંહ રણા

Thursday, October 23, 2008

ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે


ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.ગણ્યું જે પ્યારું પ્યારાએ,અતિ પ્યારું ગણી લેજે!
મૂર્ધન્ય કવિ શ્રી બાલાશકર કંથારીયા ની આ પ્રાર્થના આપણા મનને દુઃખોથી મુક્ત થવાનો સુંદર રસ્તો બતાવી જાય છે. ખરેખરતો આ જગતમાં જીવ તરીકે આપણે જન્મ્યા છીએ.. અને જગતનાં બધા જ દુઃખો ભોગવનાર આપણે શરીર,મન,બુદ્ધિ અને અહંકારવાળા છીએ, એ સમજ જ મોટી ભ્રાંતિ છે. પરંતુ એ ભ્રાંતિ જયાં સુધી દૂર નહી થઈ હોય ત્યાં સુધી શરીરને હું માનનારા આપણા જેવા માટે દુઃખ મુક્તિનો કે હળવાસનો એક માત્ર ઉપાય આ કવિતા જણાવે છે. ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે. અને તે પણ કેવી રીતે? અતિપ્યારું ગણી ને...
આપણા પ્રત્યેકનાં જીવનમાં કેંટલાયે પ્રસંગો એવા બનતા હોય છે, કે જેમાં આપણને સ્પષ્ટતાથી એ સત્ય સમજાય કે મારૂં ચાલ્યું નથી.. અને એવા પ્રસંગો કદાચ આપણા જીવનમાં ઈશ્વર એટલા માટે જ લાવતો હશે કે જેથી કરીને એ ઈશ્વરની સર્વોપરિતાનો આપણા જીવનમાં સ્વીકાર થાય. કંઈ પણ સારુ થાય ત્યારે તેવા શુભ–લાભ ની ઘડીએ ઈસ્વરનો એ પરમ પ્રસાદ માનીને સ્વીકાર કરવાથી આપણો અહંકાર નિર્મૂળ થાય છે. અને જયારેભ કોઈ દુઃખ આવી પડે ત્યારે પણ અને પ્રસાદ તરીકે સ્વીકારવાથી મન ઊપરનો બધો જ બોજ હલકો થઈ જાય છે.. અને તેથી જ આ પરમ સત્યનો સ્વીકાર એ આધ્યાત્મિક જીવનનું પ્રથમ પગથીયું પણ ગણી શકાય.. જગતમાક્ષ સર્વ કંઈ એ સરજનહારની મરજી થી જ થાય છે.. એ સત્ય જ છે. સૂર્યનું ઊગવું અને આથમવું..., રાત–દિવસ, અરે..! વિચાર કરો તો આપણા હૃદયનાં ધબકારા અને લોહીનું પરિભ્રમણ તથા અન્નનું પાચન વિગેરે ક્રીયા શું આપણે આપણી ઈચ્છા કે શક્તિથી કરીએ છીએ? ના. તો પછી જો જગત ચાલે છે ઈશ્વરની શક્તિ હોય અને આપણું શરીર પણ એ જ ઈશ્વરની શક્તિથી ચાલતું હોય તો પછી તેવા શરીર દ્વારા મળેલા ફળનાં આપણે માલિક શી રીતે..?
બીજી પંક્તિમાં પણ એજ સત્યને બીજા દુઃખનાં પ્રસંગોમાં સ્વીકારવાનું કહેતા સ્પષ્ટ કરે છે કે,
દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો,જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!
મોટા ભાગે સમાજમાં એવું બનતું હોય છે, આપણે જેમને પોતિકા માનીએ છીએ અને જેઓનાં માટે ઘસાયા હોઈએ છીએ તેમના તરફથી ક્યારેક એવા વાક્બાણ સહેવા પડે જે સહન જ ન થાય.. અને ત્યારે કવિ કહે છે કે, જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે.. કારણ કે જો શાસ્ત્રની વાત માનીએ તો આપણા જો કોઈ પાપકર્મનાં ફળ સ્વરૂપે આવી વાણીનાં ઘા સહેવા પડે છે.. આવું કહેનાર તો માત્ર નિમિત્ત જ હોય છે. અને તેવી જ રીતે આખા જગતનાં પાલન પોષણ ની જવાબદારી જો સર્જનહારની સ્વીકારીએ તો પછી જગતનાં કાજી થઈને દુઃખી થવાનું કોઈ જ કારણ નથી. ‘‘કચેરી માંહીં કાજીનો ,નથી હિસાબ કોડીનો.જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે!’’
બાળપણમાં મેળામાં કોઈક વાર કાચનાં ટુકડાઓ અને અરીસાની મદદથી બનાવેલું કેલીડોસ્કોપ નામનું યંત્ર બધાએ જોયું હશે.. ભૂગળીમાં રાખેલા ત્રણે બાજુએ અરીસાનાં કાચમાં રહેલા રંગબેરંગી બંગડીનાં ટુકડાઓને જેટલી વાર ફેરવવામાં આવે તેટલી વાર જુદી જુદી ભાત ઉપસે છે. બરાબર કેલીડોસ્કોપની જેમ આ જગત પણ પેલા કાચનાં યંત્ર જેવું જ છે. જગતના કાચના યંત્રે ,ખરી વસ્તુ નહીં ભાસે. નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે! વળી, કહે છે...રહેજે શાંતિ સંતોષે ,સદાયે નિર્મળે ચિત્તે. દિલે જે દુ:ખ કે આનંદ કોઇને નહીં કહેજે!.. ભગવદ્ગીતા કહે છે.. સુખેષુ અનુદ્વિગ્ન્ મનઃ દુઃખેષુ વિગતસ્પૃહ. વિતરાગ ભય ક્રોધ સ્થિતધિર્મુનિઃ ઊચ્યતે.. અને ક્રોધ તો જીવમાત્રનો સૌથી મોટો દુશ્મન છે એને ત્યજીને ભલાઈની ઘડીને મહાલક્ષ્મી ગણીને જીવન જીવવા કવિ સમજાવે છે.
વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં, તેને ત્યજી દેજેઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે!
રહે ઉન્મત્ત આનંદે ,ખરું એ સુખ માની લે.પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે!
આ જગતમાત્ર જો ઈશ્વરનું સર્જન છે તો તેની દરેક સ્થિતિ અને આપણા જીવનમાં આવતી દરેક ઘટનાને પરમાત્માનો ઉપહાર સમજવામાં આવે તો એક વાત તો સ્પષ્ટ જ થાય અને તે એ કે, આપણું ધ્યાન આ આખીયે સૃષ્ટીનો ચાલક ચોક્કસ રાખી રહ્યો છે. અને ઈશ્વરનાં સાનિધ્ય અને શરણાગતિનું સુખ તો જગતનાં બધા જ સુખોની સરખામણીમાં ખૂબ જ મોટું છે. દ્રષ્ટાંત પૂરતા વિચાર કરીએ તો થોડીક જ વાર માટે માતાથી વિખૂટા પડેલા બાળકને જેવી તેની માતા દેખાય અને એક શ્વાસે દોડતું જઈને પેલું બાળક તેની મા નાં ખોળામાં ભરાઈ જાય છે.. આ માતાની ગોદમાં નાનકડા બાળકને કેવો આનંદ મળે છે તે દ્રષ્ય નજર સમક્ષ લાવીએ તો તરત જ ઈશ્વરની શરણાગતિનાં આનંદ કેવો હોય તે સમજી શકાશે. અને આગળ સમજાવતા કવિ ખૂબ જ સુંદર રીતે લાલબત્તિ ધરીને જાણે કે ચેતવણી આપી દે છે.. કહે છે.. વેરી એવા ચિત્તમાં વસનારો ક્રોધ કોઈ પણ સંજોગો કે પરિસ્થિતિમાં કરવા જેવો નથી, અને એવા ક્રોધને સદંતર ત્યજી દેવા કવિ સુચવે છે.
કટુ વાણી સુણે જો કોઇની ,વાણી મીઠી કહેજે પરાઇ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે!
એકે એક પંક્તિને મનભરીને આપણા અંતરમનમાં વિહરવા દેવા જેવી છે.. કોઈનીયે કડવી વાણી સાંભળીને શું કરવાનું તે સમજાવતા કેટલાં સુંદર શબ્દો છે.. સવારથી સાંજ સુધી આપણે કેટલા બધા અભિપ્રાયો આપીએ છીએ.. અને મોટાભાગનાં વેરઝેર,કટુતા અને ઝઘડાનું મૂળ કારણ તપાસીએ તો આપણે બીજી વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ વિશે બાંધી દીધેલો અભિપ્રાય જ હોય છે. એવી પરાઈ મૂર્ખતા કાજે આપણે શાં માટે કડવી વાણી બોલવી જોઈએ.
આગળની પંક્તિઓમાં તો સમગ્ર વૈદિક શાસ્ત્રમાં વર્ણવાયેલા કર્મનાં સિદ્ધાંતના સારને વર્ણવવાનો કવિનો પ્રયાસ જણાય છે.
અરે ! પ્રારબ્ધ તો ઘેલું ,રહે છે દૂર માંગે તો ન માગ્યે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે!
રહી નિર્મોહી શાંતિથી ,રહે એ સુખ મોટું છે જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે !
પ્રારબ્ધ એટલે આપણા અગાઉ કરેલા કર્મોનું ફળ.. આપણા શાસ્ત્રોમાં આ વાતને ઘણા જ વિસ્તારથી સમજાવી છે.. ટુંકમાં અભિવ્યક્ત કરીએ તો ઈશ્વર કર્મફ્ળનો દાતા છે.. આપણે કરેલા કર્ફમોનાં ફળ ચોક્કસ મળે છે.. પરંતુ કયાં કર્મનું ફળ ક્યારે આપવું તે પરમાત્મા નક્કી કરે છે..તેથી કોઈ પણ કર્મ કર્તવ્ય તરીકે મોહ પામ્યા વગર કરી દેવું અને ફળની આકાક્ષા છોડીને રહેવાની ફકીરીની વાત ને શબ્દરરૂપ અહીયા આપીને છેલ્લી પંક્તિઓમાં ઈશ્વરની સંપૂર્ણ શરણાગતિનો મહિમા કવિએ વર્ણવી દીધો છે...
પ્રભુના નામનાં પુષ્પો ,પરોવી કાવ્યમાળા તું.પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે !
કવિ રાજા થયો શી છે ,પછી પીડા તને કાંઇ?નિજાનંદે હંમેશાં ‘બાલ‘ મસ્તીમાં મઝા લેજે !
કવિના જેવી નિજાનંદની મસ્તી આવે ત્યાં સુધી શબ્દ અને સૂરતાનો સાથ પરમાત્મા છોડાવે નહી તેવી જ હૃદયની પ્રાર્થના સાથે બાલાશંકર કંથારીયાને પ્રણામ... અને સૌને દિપાવલી અને સાથોસાથ આવનારા નૂતન વર્ષની શુભકામનાઓ....
–ઘર્મેન્દ્રસિંહ રણા